હાલની કોરોનની લહેરમાં ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ વધારે હોઈ અમારી જવાબદારી ખુબ જ વધી ગઈ હોવાનું સમરસ ડેડીકેટેડ હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ ડો. મેહુલ પરમાર જણાવે છે. છેલ્લા બે માસથી આ હોસ્પિટલ ખાતે ડો. મેહુલ પરમાર અને ડો. કેતન પીપળીયાના માર્ગદર્શન હેઠળ 2200 થી વધુ ગંભીર દર્દીઓ સમરસ ખાતે દાખલ થઈ સારવાર લઈ ચૂકયા છે.
આવા સમયે ડો. પરમારના પત્ની ડો. હર્ષા સોલંકી કે જેઓ પી.ડી.યુ મેડિકલ કોલેજમાં પી.એસ.એમ. ફેકલ્ટીમાં એસોસિએટ પ્રોફેસર છે અને સિવિલમાં કોવીડ હોસ્પિટલ ખાતે ડ્યુટી બજાવી રહ્યા હતાં તેઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોઈ ડ્યુટીની સાથો-સાથ તેમના પત્ની ડો. હર્ષાનું સારી રીતે ધ્યાન રાખી શકાય તે માટે તેમને હાલ સમરસમાં દાખલ કરાયનું ડો. પરમાર જણાવે છે.
આ પણ વાંચો : રાજ્યમાં વધુ 14,352 વ્યક્તિ કોરોનાની ઝપટમાં, 170 મોત, અમદાવાદમાં 5725 નવા કેસ
હોસ્પિટલની જવાબદારીની સાથે પરિવારમાં પત્ની પોઝિટિવ, 75 વર્ષના તેમના પપ્પાને હાઇપર ટેન્સન અને ફેફસાની તકલીફ, 65 વર્ષના માતાને ડાયાબિટીસની તકલીફ હોઈ તેમની સારસંભાળ અને 10 વર્ષના પુત્રની જવાબદારી હાલ ડો. મેહુલ નિભાવી રહ્યા છે.
મૂળ તો સિવિલમાં ગાયનેક વિભાગમાં ફરજનિષ્ઠ એવા ડો. પરમારને કોરોનાની પ્રથમ લહેર વખતે પણ સમરસમાં કોવીડ કેરમાં નિયુક્ત કરાયા હતાં. હવે બીજી લહેર વખતે પણ તેઓ સમરસ ડેડીકેટેડ હેલ્થ સેન્ટરમાં ‘‘દર્દી નારાયણ ભવોઃ’’ ના સૂત્ર સાથે સમગ્ર દેશને પરિવાર ગણી સેવામાં જીવ રેડી તેમની ફરજ બજાવી રહ્યા છે.
આ પણ વાંચો : 'શહેરનાં લોકો કામ વગર બહાર ન નીકળે, ગામડાંમાં ટેસ્ટિંગ વધારવામાં આવે, 8 દિવસમાં સંક્રમણની ચેઇન તોડવી છે''
દર્દી જયારે સાજા થઈ તેમની આંખોમાં જે હર્ષ અને કૃતજ્ઞતાની લાગણી જોવા મળે છે, તેને જ ગોલ્ડ મેડલ ગણી અનેક મેડલ્સથી સન્માનિત થયાની લાગણી ડો. મેહુલ અનુભવે છે, અને હાલની પરિસ્થિતમાં ઈશ્વરે જ તેમને આ ભૂમિકા ભજવવા મોકલ્યો હશે તેમ માનીને તેઓ મનોમન ઈશ્વરનો આભાર માને છે.
અત્યારના સમયમાં ડોક્ટર દર્દીઓની જીવન નૈયાને પાર કરવા તેમનું સમગ્ર અસ્તિત્વ લગાવી રહ્યા છે, ત્યારે આપણને ડોક્ટરમાં ઈશ્વરની અનુભૂતિ થવામાં કોઈ શંકા નથી.